Aarti Sangani Love Marriage: સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરી લેતા સોશિયલ મીડિયાથી લઈને સમાજ સુધી ચર્ચાઓની આંધી ચડી છે. કિંજલ દવેના કિસ્સા બાદ આ બીજો મોટો વિવાદ સામે આવ્યો છે.
Aarti Sangani Love Marriage પરિવાર કે પ્રેમ? પિતાનો કરુણ આક્રંદ
આરતી સાંગાણીના પિતા, જેઓ સામાન્ય સાડી જોબ વર્ક કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે અત્યંત ભાવુક થઈને દીકરીને સંદેશ આપ્યો છે. 5 દીકરીઓ અને 1 દીકરાના પિતાએ રડતા અવાજે કહ્યું, “બેટા, તેં વિશ્વાસઘાત કર્યો છે. હજુ પણ સમય છે, જે ભૂલ થઈ હોય તે સુધારીને પાછી આવી જા, અમે તને સ્વીકારવા તૈયાર છીએ.” પિતાએ એમ પણ જણાવ્યું કે આરતી તેમને દીકરો બનીને રહેશે તેવો વિશ્વાસ આપતી હતી.
કોણ છે દેવાંગ ગોહેલ? કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
આરતીએ જેની સાથે લગ્ન કર્યા છે તે દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે. દેવાંગ આરતીના સંગીત કાર્યક્રમોમાં તબલા વાદક તરીકે કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આરતી પાટીદાર સમાજમાંથી આવે છે જ્યારે દેવાંગ અન્ય સમાજનો હોવાથી વિવાદ વકર્યો છે.
પાટીદાર સમાજનો રોષ અને બહિષ્કારની ચીમકી
આ મુદ્દે પાટીદાર આગેવાનો મેદાને આવ્યા છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. જ્યારે અન્ય આગેવાનોએ સોશિયલ મીડિયા પર આરતી સાંગાણીના સામાજિક બહિષ્કારની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે:
- પટેલ સમાજના કાર્યક્રમોમાં આરતીને બોલાવવી નહીં.
- જ્યાં પણ તેના પ્રોગ્રામ હોય ત્યાં વિરોધ કરવો.
- કલાકાર તરીકે તેને મળેલી સફળતામાં સમાજનો પણ મોટો ફાળો છે.
આરતી સાંગાણીનો વળતો જવાબ: “શું પ્રેમ કરવો ગુનો છે?”
વિરોધ વચ્ચે આરતીએ મૌન તોડતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે, તે અને દેવાંગ એકબીજાને પ્રેમ કરે છે. તેણે સવાલ કર્યો કે, “જો આપણે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વાતો કરતા હોઈએ, તો શું દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?” જોકે, તેણે લોકોની લાગણી દુભાવવા બદલ માફી પણ માંગી છે.
નવા કાયદાની માંગ: પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત?
આવી ઘટનાઓને રોકવા માટે હવે ગુજરાતના વિવિધ સમાજો એકઠા થઈ રહ્યા છે. સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવતો કાયદો લાવવામાં આવે, જેથી સામાજિક માળખું જળવાઈ રહે.